તું જ તારો સાક્ષી

      ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી જગ્યાએ મૂકવાની હતી કે,  જ્યાં  સુધી ભાગ્યે જ કોઇની નજર પહોંચે. શિલ્પકાર હાથમાં ટાંકણુ લઇને અતિ લીન થઈને એકે એક રેખામાં , એકે એક વળાંકમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. આ જોઇને બીજી વ્યક્તિએ ટીકા કરી ,” આ મૂર્તિ પર કોઇની નજર પડવાની નથી તો શા માટે આટલી મહેનત ?”  મૂર્તિકારે પોતાનુ કામ ચાલુ રાખતા જવાબ આપ્યો , ” બીજુ કોઇ જુવે કે ન જુવે પણ હું તો જોઉ છું .બીજુ કોઇ જુવે કે ના જુવે મારો ભગવાન તો એ જોશેને?”       

      એક દિવસ યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરીમાં એક છોકરીની ભૂલથી રિસર્ચ માટે મુકેલી પ્લેટ્સમાં જરાક નુકશાન થઈ ગયુ. તે સમયે બીજુ કોઇ તો હાજર નહોતુ જ. જો તે છોકરીએ  કદાચ એ વાત પોતાના સુધી રાખી હોત તો પણ કોઇને ખબર પડવાની નહોતી. પરંતુ તેણે સામે ચાલીને હેડ ઓફ ધ  ડીપાર્ટમેન્ટ ( H O D )ને પોતાની ભૂલની વાત કરી. ઘડીભર તેની વાત સાંભળીને તેમણે કહ્યુ ” નુકશાન એવું ય ખાસ નહોતુ. તેં ના જણાવ્યુ હોત તો કોઇને ક્યાં ખબર પડવાની હતી ? ”

    છોકરીએ સાવ સરળતાથી જવાબ આપ્યો ,” મને -મારા અંતર આત્માને  અને ઉપર બેઠેલા  “હેડ ઓફ ધ  હોલ ડીપાર્ટ્મેન્ટને -ભગવાનને તો ખબર પડવાની જ હતી ને ? મારી ભૂલ કોઇને ધ્યાનમાં આવે કે ના આવે મારા તો ધ્યાનમાં હતી જ . મારું મન એની સાક્ષી હતુ. એ ભૂલનો ભાર મને હંમેશા રહેત. ”

     હંમેશા નહી તો ક્યારેક એવું બનતુ હોય છે કે, આપણી ભૂલ અથવા સારપની કદાચ કોઇને ખબર  હોય કે ન હોય, તેની નોંધ કોઇ લે કે ન લે. પણ આપણો અંતરાત્મા તો જાણતો જ હોય છે. વ્યક્તિનો પોતાનો જો મ્હાંયલો સાચો હોય તો કોઇ કહે કે ના કહે  પોતે પોતાની ભૂલનો ભાર તો ચોક્કસ અનુભવે છે. એવી રીતે સારી વાત સારા કાર્યની પણ જો કોઇ નોંધ લે કે ન લે; વ્યક્તિ આપ એની સાક્ષી હોય છે. એ સારપ એને પીંછા જેવી હળવાશ બક્ષે છે.

  • મન હ્રદય જ જેનુ સાક્ષી છે એવી વ્યક્તિને કોઇ ગીતા કે કોઇ કુરાનના ટેકા કે આડશની જરૂર હોતી જ નથી.
  • જેનુ મન સાફ છે તેને કોઇનો ડર નથી.
  • મન જેટલુ શુધ્ધ હોય તેને દુનિયાની અશુદ્ધિ સાથે શું લેવાદેવા?
  • અંતરમાં જ જેના ઉજાસ છે એને બાહ્ય પ્રકાશની શી આવશ્યકતા?

- રાજુલ કૌશિક

તેમનો બ્લોગ 'રાજુલનું મનોજગત'


   કોઈ પણ ચિત્રને મોટું જોવા  માટે તેની ઉપર ક્લિક કરો. 

   તેની ઉપર ક્લિક કરી પાછા આવી જાઓ !

2 thoughts on “તું જ તારો સાક્ષી”

  1. સુ .શ્રી રાજુલની દરેક ક્ષેત્રના એ મઢી રાખવા જેવી વાત-‘” મને -મારા અંતર આત્માને અને ઉપર બેઠેલા “હેડ ઓફ ધ હોલ ડીપાર્ટ્મેન્ટને -ભગવાનને તો ખબર પડવાની જ હતી ને ? મારી ભૂલ કોઇને ધ્યાનમાં આવે કે ના આવે મારા તો ધ્યાનમાં હતી જ . મારું મન એની સાક્ષી હતુ. એ ભૂલનો ભાર મને હંમેશા રહેત. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *