એક મુલાકાત રીક્ષાવાળા સાથે

     - હિરેન કળસરીયા.

 “કાકા, નગીનાવાડી જવાના? કેટલુ ભાડુ થશે?

 “દીકરા જે આપવું હોય એ આપજે ને. ચાલ બેસી જા.”

   આ વાત સને ૨૦૦૯ ની છે, જ્યારે હું ધોરણ 9 માં ભણતો હતો. શાળાએ જવાના સમયે થયેલી માત્ર 30 મિનિટની એ મુલાકાતએ મારો લોકો માટે વિચારવાનો નજરિયો બદલી નાંખ્યો હતો. અચાનક કાકા જોડે મારો સંવાદ ચાલુ થયો.

    ”બેટા, કેમ આજે શાળાએ વહેલું?”

   

      ”કાકા એ તો આજે નિશાળમાં હરીફાઈઓ છે એટલા માટે.”

      “ભણીગણીને આગળ શું બનવાની ઇચ્છા છે ? ડોક્ટર, એન્જીનીયર કે વકીલ ?”

      આ સાંભળીને એક ઘડી એમ થયુ કે, આ સામાન્ય દેખાતા રીક્ષાવાળા કાકાને ભણતરમાં આટલી બધી દિલચશ્પી? આ સંવાદ મેં આગળ વધારતા સામો સવાલ કર્યો.

    ”કાકા, તમે કેટલુ ભણેલા છો?”

    કાકા હસવા માંડ્યા અને જવાબ આપ્યો કે,” તને શું લાગે ? કેટલું ભણ્યો હોઇશ ?”

    “એમ થોડી ખબર પડે.”

     આટલી વાત થતા કાકા તરત પોતાના ખિસ્સામાંથી એમનો આઇ-કાર્ડ કાઢ્યો. એ આઇ-કાર્ડ જોઇને હું ચોંકી ગયો. એક સામાન્ય રીક્ષા ચલાવવા વાળો અને સામાન્ય દેખાતો આ માણસ એક ડીગ્રી-ધારક એડવોકેટ હતો. બી.કોમ અને એલ.એલ.બી. બે-બે ડીગ્રીવાળો માણસ અને રીક્ષા ચલાવે?  સ્વાભાવિક છે કે, એક ૧૫  વર્ષના છોકરાના મનમાં સવાલ ઉભો થાય જ.

    ”કાકા,  તમે તો વકીલ છો. એક વકીલ હોવા છતા કેમ રીક્ષા ચલાવો છો ?”

    “બસ આ ધંધામાં હું ખુશ છુ. અને આ ખુશી સિવાય આપડે જોઇએ પણ શું?”

    ”તેમ છતા વકીલાતમાં તો આના કરતા સારી જિંદગી જીવી શકાય એમ છે.”

    ”કોણે કીધું આવું? અમુક અનુભવો થયા એટલે તો મે મારો રસ્તો બદલ્યો છે. “

    ”અમુક અનુભવ? મતલબ?”

     “બે વર્ષ વકીલાત કરી, પણ આપણા જેવા લોકોનું ત્યાં કામ નહી. ઈમાનદારીનો નશો આપડે ત્યાં જાળવી ના શકીએ. અઘરું છે બેટા અઘરું છે.”

    “કાકા કંઇક કહો તો સમજાય હોં!”

     “આ વકીલાતમાં એક ઈમાનદાર વકીલની છાપ છોડવી આસાન ન હતી. અને ખોટા રસ્તે ચાલવા મન નહોતું માનતું. બસ સિધ્ધાંત જાળવી રાખ્યો અને રસ્તો બદલી નાંખ્યો. અને મારી રીતે હુ ખુશ છુ. આના સિવાય આપડે બીજું જોઇએ શું?”

    “ખરેખર કાકા, હજી આ માનવામાં નહી આવતુ હોં.“

    ” જો બેટા! જીવનમાં ઈમાનદારીને પહેલો  ક્રમ આપવો. એમાં જે આનંદ છે એ  ક્યાંય નથી. હુ ખુદ ઈમાનદારીથી રીક્ષા ચલાવું છુ. સારુ એવુ કમાઈ લઉં  છું. બીજું આપડે જોઇએ શું?”

    “વાહ કાકા! મજા આવી ગઇ. “

    આ ૨૦ મિનિટના સંવાદે મારા પર ઊંડી અસર કરી. લોકો તરફ જોવાનો મારો નજરિયો બદલાઈ ગયો. ઈમાનદારીનું જીવતું-જાગતું ઉદાહરણ જોઇને નવા પાઠ શીખ્યો. ખરેખર આજે ૮ વર્ષ પછી પણ એ મુલાકાત અને એ ચહેરો એવો ને એવો યાદ છે.  

5 thoughts on “એક મુલાકાત રીક્ષાવાળા સાથે”

  1. મારો આ લેખ પ્રકાશીત કરવા બદલ ખુબ ખુબ આભાર જાની દાદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *