બકો જમાદાર – ૧૬

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો..

      મંગળવાર આવે ને તમને મળવાનું મન થઈ આવે! તમે ભૂલકાંઓ ઈશ્વરના બાળકો ખૂબ વહાલા બધાના એટલે તમને કેટલા બધા રોજ વાર્તા કરે! બકા જમાદાર પણ તમને મળવા આવે. નવા સાહસ કરે ને નવા અનુભવ લાવે.

 

વાર્તા નં ૧૬,

    એકવાર જંગલના બધા પ્રાણીઓને થયું કે, શહેરના પ્રાણીઓ તો કેવા મજેથી બધે ફરે. બકરા, ઘોડા, ગાય, ભેંસ,અને કૂતરા બિલ્લી બધા કેટલાં સુખી છે?  બધા ભેગા થઈ સિંહ ભાઈ પાસે ગયા ને ફરિયાદ કરી,”આપણે કેમ શહેરમાં કે ગામમાં ફરવા ન જઈ શકીએ?સિંહે કહ્યુ,”માનવ પ્રજા ડરપોક તેથી આપણાથી ડરે માટે.”

    હવે તો વાઘ ને રીંછ ને થયું જવું તો જોઈએ જ.

     એક સવારે નક્કી કરી વાઘ, રીંછ, શિયાળ ને વરૂ તો નિકળી પડ્યા.આવી પહોંચ્યા બકા જમાદારના ગામમાં.  છાનામાના ચુપચાપ ફરી રહ્યા છે. ત્યા અચાનક ગધેડા ભાઈની નજર પડી એમની પર, ચારેય આરામ થી ફરી રહ્યા છે તો પણ તેમણે તો હોંચી હોંચી કરી બધાને ભેગા કરવા માંડ્યા.આખરે તો ગધાભાઈ ને !

      હવે તો ગામ આખુ ભેગું થવા માંડ્યુ. કૂતરાભાઈ ભસીને, તો ગાયબેન ભાંભરી અને જોડે ભેંસ પણ ભાંભરવા લાગી. ધોડો હણહણવા માંડ્યો ને બકરીબેન બે બેં કરવા માંડ્યા, હાથીભાઈ પોતાના જંગલના મિત્રોને જોઈ ચીંઘાડવા લાગ્યા ને માનવ તો નિકળી પડ્યો લાકડી ને ડંડા લઈ હોંકારા કરવા...

        આમ બધા ભેગા થઈ તેઓનું સ્વાગત કરવાને બદલે પાછળ જ પડી ગયા.બીચારા ચારેય વિચારવા લાગ્યા 'જંગલી પ્રાણી અમે કે આ બધા?'  દોડાદોડ થવા લાગી, કોઈ વાધને પકડવા પાંજરૂ લઈ આવ્યા અને રીંછને પકડવા દોરડાં.  શિયાળ તો ભાગીને કોતરમાં ભરાઈ ગયું ને , વરૂભાઈ તો જાય ભાગ્યા.

     બકા જમાદારને થયું ભૂલમાં આવી ચઢેલા આ મિત્રો ને બચાવવા જોઈએ. એમણે બધાને સમજાવવા માંડ્યા કે, 'તેઓ ભૂલમાં આ બાજુ આવી ચઢ્યા છે. એમને જવાદો.'

     પણ માનવજાત શેની હાથમાં આવેલો શિકાર જવા દે? એતો મંડી જ પડી. હોંકારા ને દેકારા કરવા, ફોટા પાડવા ને પથરા મારવા. વાઘ તો મનમાં ને મનમાં પસ્તાવા લાગ્યો, ને રીંછ તો રડવા જ લાગ્યું કે, મને બાંધી ને હવે ગુલામી જ કરાવશે ને વાઘને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દેશે. જુઓ બાળકો - જાનવર ના મનમાં માનવની છાપ કેવી ખરાબ  છે?

     પણ બકા જમાદારે મિત્રોને બચાવવાની યુક્તિ કરી. તેમણે વાઘ સામે ઉભા રહીને એક માંસનો ટૂકડો ફેંક્યો ને તેને પિંજરાની વિરૂઘ્ઘ માં ફેંક્યો. વાઘ જેવો એ લેવા ગયો કે, બધા ભાગ્યા ડર તો બધાને હોય, પછી તેમણે જંગલ તરફના રસ્તા તરફ બરકેશ ને તેના મિત્રો ને દોડાવ્યા એટલે વાઘ તે તરફ દોડ્યો. હવે બરકેશ ને તેના મિત્રો ધીરા પડ્યા પણ વાધ તો તેની ઝડપમાં જ દોડી રહ્યો હતો.

     પેલા લોકો એક આમ ને બીજા બીજી દિશામાં એટલે વાધભાઈ ની મૂંઝવણ વધી. પણ દોડતા દોડતા તે અજાણતાં પણ જંગલમાં આવી ગયો. હવે જાણીતો રસ્તો મળતા તે તો ભાગ્યો જંગલમાં. જાન બચી લાખો પાયે.

  આ બાજુ રીંછભાઈને બધા ભૂલી ગયા. એનો લાભ ઉઠાવી એતો ઉતરી ગયા નદીમાં ને તરીને જંગલ તરફ. વાધ તો મનોમન બકા જમાદારનો આભાર માનવા લાગ્યો. લોકો બકા જમાદારને  વઢ્યા કે, આમાં બરકેશ કે એના મિત્ર ની જાન જાતને?

      બકાજમાદારે બધાને સમજાવ્યા કે,

     "પ્રાણીમાત્ર દયાને પાત્ર. સૌ પોતપોતાની જિંદગીના કામ કરે. જંગલમાં રહી તેઓ ભક્ષક બન્યા એટલે આપણે સભ્યતા છોડી ભક્ષક બની ન જવાય. પણ આજકાલ તો વાઘ ને મારી, હરણીને મારી ધંધો કરવામાં આવે છે અને પ્રકૃતિના સમતોલપણાને નુકશાન. જો આમ જ માનવજાત કરતી રહેશે તો કેમ કુદરતના નિયમો જળવાશે? ધીરે ધીરે જંગલો ઓછા થશે ને પ્રાણીઓ પણ ને પક્ષીઓ પણ...આપણે જ કુદરતને નષ્ટ કરી રહ્યા છીએ."

     શું બાળકો તમને ગમ્યું કે નહિ બકા જમાદારનું વાઘને બચાવવું? તેમણે યોગ્ય જ કર્યુ ને? જો કોઈ આમ આપણને પિંજરાંમાં પૂરી કુદરતી જીવન છીનવી લે તો ગમશે  તમને? માટે ચાલો નિયમ લઈએ કે, કદી કોઈ પ્રાણી કે પશુને પાંજરામાં પૂરી નહિ સતાવીએ. તમને મંજુર છે ને તમારી મિત્ર ની વાત? તો આજથી નિયમ લો-

પ્રાણી માત્ર દયાને પાત્ર.

     જીવદયા સૌથી ઉત્તમ. જો માનવ સમજી જશે તો પ્રકૃતિ બચી જશે.

     ચાલો બાળકો ફરી આવતા મંગળવારે મળીશું. આનંદીશું ત્યા સુધી બીજા મિત્રોની સરસ સરસ વાર્તાઓ પણ સાંભળજો ને મજા કરજો.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

જંગલ
ગામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *