ગરીબ વડાપ્રધાન

 -પી. કે. દાવડા

       વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી એક્વાર એક કપડાની મીલની મુલાકાતે ગયેલા. મીલના માલિક શાસ્ત્રીજીની સાથે રહી મીલમાં શું શું બને છે એ સમજાવતા હતા. જ્યારે બન્ને સાડી બનાવતા વિભાગમાં પહોંચ્યા ત્યારે શાસ્ત્રીજીને પોતાની પત્ની માટે એક સાડી ખરીદવાની ઈચ્છા થઈ. એમણે મીલના માલિકને એક ઓછી કીમતવાળી સાડી દેખાડવાનું કહ્યું.

     મીલના માલિકે તરત મેનેજરને એક સારામાં સારી સાડી લઈ આવવા કહ્યું. એમાંથી એક સાડી શાસ્ત્રીજીને પસંદ પડી. એમણે એની કીમત પૂછી. માલિકે કહ્યું, “અમે આ સાડી ૮૦૦ રુપિયામાં વેંચીએ છીએ.” શાસ્ત્રીજીએ કહ્યું, “આ તો બહુ મોંધી છે, થોડી ઓછી કીમતવાળી સાડી બતાડો.” શાસ્ત્રીજીને ૫૦૦ અને ૪૦૦ રુપિયાવાળી સાડીઓ બતાવવામાં આવી, પણ શાસ્ત્રીજીને એ પણ મોંધી લાગી.

     શાસ્ત્રીજીએ કહ્યું, “મારા જેવા ગરીબ માણસને પરવડે એવી સાડી બતાવો.” માલિકે કહ્યું, “હું આપની પાસેથી સાડીના પૈસા લેવાનો નથી. વડાપ્રધાન મારી મીલની સાડી ખરીદે, એ તો મારૂં સન્માન થયું કહેવાય. તમને જે સાડી પસંદ હોય તે લઈ લ્યો.”

      શાસ્ત્રીજીએ કહ્યું, “હા હું વડાપ્રધાન છું, પણ એનો અર્થ એ નથી કે હું મારી હેસિયત કરતાં વધારે મોંધી વસ્તુઓ વાપરૂં. વડાપ્રધાન તરીકે મને વેતન મળે છે, એટલે મફતમાં કોઈપણ વસ્તુ લેવાનો મને અધિકાર નથી.”

     માલિક સમજી ગયા, અને એમણે શાસ્ત્રીજીને મધ્યમ વર્ગના માણસો માટે બનાવેલી સાડીઓમાંથી એક સાડી આપી અને એનું બિલ બનાવી પૈસા લઈ લીધા.

One thought on “ગરીબ વડાપ્રધાન”

  1. શાસ્ત્રીજીએ કહ્યું, “હા હું વડાપ્રધાન છું, પણ એનો અર્થ એ નથી કે હું મારી હેસિયત કરતાં વધારે મોંધી વસ્તુઓ વાપરૂં. વડાપ્રધાન તરીકે મને વેતન મળે છે, એટલે મફતમાં કોઈપણ વસ્તુ લેવાનો મને અધિકાર નથી.” ધન્યધન્ય

Leave a Reply to pragnaju vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *